KAMIKAZE The Suicide Bombers

કામિકાઝે શબ્દ દ્રિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના આત્મઘાતી પાયલોટ માટે વપરાય છે. આ શબ્દનો અર્થ "દિવ્યપવન" એવો પણ થાય છે.
પર્લ હાર્બરના હુમલાથી જાપાને દ્રિતીય વિશ્વયુદ્ધમાં જંપલાવ્યું. અમેરિકા અને મિત્રરાષ્ટ્રો ના જોરદાર વળતા હુમલાથી જાપાનની પેસિફિક મહાસાગરમાં અનેક મોરચે જોરદાર હાર થઈ.
1942માં મિડવેના યુદ્ધમાં થયેલ જાપાનની હારના કારણે જાપાનની એરફોર્સને ભરપાઈ ના થઇ શકે તેવું નુકસાન થયું હતું. 1943 અને 1944 દરમિયાન મિત્રરાષ્ટ્રો જાપાન તરફ ખુબ ઝડપથી કુચ કરી રહ્યા હતા. તેમણે જાપાનને ફિલિપાઇન્સ દ્રિપો પરથી પણ હાંકી કાઢ્યા. ફિલિપાઇન્સ જાપાન માટે અતિ મહત્વનું બેઝ હતું કારણકે તે દક્ષિપુર્વ એશિયામા આવેલ તેલક્ષેત્રો અને જાપાનની વચ્ચે આવેલ હતું. આધુનિક કોઈ પણ યુદ્ધ ઈંધણ વગર જીતી શકાતું નથી.
જાપાનના યુદ્ધવિમાનો અને જહાજો ખુબ મોટા પાયે નષ્ટ થઇ ગયા હતા. મિત્રરાષ્ટ્રોની સરખામણીએ જાપાનના વિમાનો ટેક્નિકલી ખુબ જુના થઇ ગયા હતા. તેમની સંખ્યા પણ ખુબ ઓછી હતી.
જાપાન જેટલા વિમાનો અને પાયલોટો ગુમાવી રહ્યું હતું તેટલા બનાવીને ભરપાઈ કરી શકતું ન હતું. જાપાનના ઉદ્યોગો અમેરિકા જેટલા સક્ષમ ન હતા. જાપાન પાસે અનુભવી પાયલોટની પણ અછત હતી.
આવી પરિસ્થિતિમાં જાપાનના વાઇસ એડમિરલ તાકાશિરો ઓહનીશીના મનમાં ખુબ ઘાતકી વિચાર આવ્યો. તેમણે ફિલિપાઇન્સમાં યુદ્ધ વખતે જોયું કે દુશ્મનોના યુદ્ધજહાજોને તોડી પાડવા માટે સૌથી ખતરનાક ઉપાય વિમાનોને જહાજોમાં ક્રેશ કરવાનો હતો. એક વિમાન ક્રેશ દસ વિમાનોના ગોળીબાર કરતા વધુ વિનાશકારી સાબિત થાય એવું એમનું માનવું હતું.જાપાને વિમાનોને માનવ મિસાઇલમાં ફેરવી નાખ્યા.

હાર અને આત્મસમર્પણ કરતા મૃત્યુ એ જાપાનની સેનાની પહેલેથી પરંપરા હતી. મધ્યયુગના સમુરાઇ યોદ્ધાઓ દ્રારા પ્રેરિત આ પરંપરા હતી. યુરોપમાં પચાસ લાખ જર્મન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું તેની સામે પેસિફિક માં માત્ર પાંચ ટકા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. સરેન્ડર એ જાપાની સૈનિકો પોતાના પરિવારના માથે કલંક ગણતા હતા. એના કરતા મૃત્યુ એમને વ્હાલું હતું.

આવા હુમલાઓ માટે ખાસ કામિકાઝે યૌદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા. આ જવાનો મુખ્યત્વે 18 થી 24 વર્ષ વચ્ચેના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. તેમને પોતાના પરિવાર અને રાષ્ટ્ર પ્રત્યે વફાદારી અને બલિદાન દાખવવાનું કહી પાનો ચડાવવામાં આવતો. તેમના માટે ખાસ વિદાય સમારંભ રાખવામાં આવતો.તેઓ પોતાના પરિવાર માટે પત્રો લખતા. તેમને 1000 જાપાની સ્ત્રીઓ દ્રારા તૈયાર કરવામાં આવેલ સૂર્યનું નિશાન ધરાવતો રૂમાલ માથા ઉપર બાંધવા માટે આપવામાં આવે છે. તેમને ટેકઓફ કર્યા પછી પાછુ આવવાનું હોતું નથી. તેમના માટે ખાસ તૈયાર કરેલ વિમાનો અડધા ટન જેટલા વિસ્ફોટકોથી ભરેલ હોતા. તેમનો મુખ્ય ઉદેશ દુશ્મનના જહાજને શક્ય એટલું વધુ નુકસાન જીવના ભોગે કરવાનો હતો.
જાપાન પાસે જેટલા વિમાન હતા તેનાથી ત્રણ ગણી વધુ અરજીઓ આવા આત્મઘાતી પાયલોટ બનવા માટેની આવી હતી.
એવો પહેલો હુમલો ઓક્ટોબર,1944માં કરવામાં આવ્યો. અમેરિકી સૈનિકો આકાશમાંથી આવી રહેલ આવી મુસીબત માટે તૈયાર ના હતા. તેઓ આવા હુમલાથી ખુબ જ ગભરાઈ ગયા હતા.
શરૂઆતમાં જાપાનની આ યુક્તિ ખુબ જ કારગત નિવડી. કેટલાય અમેરિકી યુદ્ધ જહાજો તોડી પાડવામાં આવ્યા. ચારે તરફ આકાશમાંથી આવા આવી રહેલ વિમાનોએ અમેરિકી નૌસેનામાં ભયનો માહોલ ઉપજાવ્યો.
ઓકિનાવાના યુદ્ધ વખતે આ હુમલાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો. ઓકિનાવા જો અમેરિકના તાબા હેઠળ આવે તો ત્યાંથી જાપાનની મુખ્ય ભૂમિ પર યુદ્ધવિમાનો દ્રારા હુમલા કરી જાપાનને શરણાગત કરી શકાય એમ હતું. આથી જાપાનીઓએ પોતાની પુરી તાકાત લગાવી. કામેકઝીઓના ધાડેધાડા અમેરિકી જહાજો પર તૂટી પડ્યા. અમરિકી જહાજોમાંથી મશીનગન દ્રારા પ્રતિકાર કરવામાં આવતો. ઘણા ખરા વિમાનો આકાશમાં જ તોડી પાડવામાં આવતા. છતાં અમુક વિમાનો વિસ્ફોટકો સાથે જહાજોમાં ઘુસી જતા. અમેરિકાને ઓકિનાવાના યુદ્ધમાં અત્યાર સુધીની સૌથી વધુ ખુવારી થઈ હતી.
કામેકઝી અનેક પૈકી એક કારણ હતું જેણે અમેરિકાને જાપાન ઉપર માનવતાને શરમાવે એવો અણુહુમલો કરવા પ્રેરિત કર્યું. અણુહુમલા બાદ જાપાને શરણાગતિ સ્વીકારી. ત્યાં સુધી હજારો કામેકઝીઓ બલિદાન આપવા તૈયાર બેઠા હતા. તેઓ અમેરિકાને સરળતાથી જાપાન સર કરવા દે એમ ન હતા.
જે દિવસે જાપાને શરણાગતિ સ્વીકારી તે સાંજે તાકાશિરો ઓહનીશી એ બલિદાન આપી ચૂકેલ બધા પાયલોટોને માફીપત્ર લખ્યો કારણકે તેમનું બલિદાન નકામું ગયું અને પછી આત્મહત્યા કરી નાખી.

જાપાનીઓ તેમના મજબૂત મનોબળ માટે પ્રખ્યાત છે. તેઓ દ્રિતીય વિશ્વયુદ્ધની ખુવારી અને અણુહુમલા બાદ પણ પગભર થઇને દુનિયાની દ્રિતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા. તેમણે બધી વસ્તુમાં નંબર વન એવા અમેરિકાને વિશ્વમંચ ઉપર ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે પછડાટ આપી. પોતાની ટેકનોલોજીથી માનવ જીવન વધુ સગવડતા ભર્યું અને સુખી બનાવ્યું. સુનામી હોય કે વિશ્વયુદ્ધ, પડી પડીને ફરી ઉભું થઇ જનાર જાપાન અને જાપાનની પ્રજાને લાખ લાખ સલામ. ભારત ગણરાજ્યએ જાપાન પાસેથી ઘણી શીખ લીધા જેવી છે. તેમની વસ્તીગીચતા ભારત કરતા વધુ છે. તેમના કુદરતી સ્ત્રોતો આપણા કરતા ઓછા છે. છતાં તેઓ આપણાં કરતા સુખ સગવડતા ભર્યું જીવન જીવે છે.

Popular Posts